India

India

28
July

દેશમાં ઠેરઠેર થઇ રહેલા આતંકી હુમલા વચ્ચે તમામ એરપોર્ટ પર પ્રવાસીઓનું સઘન ચેકીંગ થઇ રહ્યુ છે ત્યારે મસ્કતથી અમદાવાદ સ્પાઇસજેટની ફલાઇટમાં એક સવાર પ્રવાસીએ સુરક્ષાના લીરેલીરા ઉડયા હતા. ચાલુ ફલાઇટમાં પ્રવાસીએ સિગારેટ ફૂંકતા ક્રુ મમ્બરોમાં દોડધામ મચી ગઇ હતી. સુરક્ષાના કારણોસર આ ઘટનાથી ફલાઇટ લેન્ડીંગ થાય પહેલા પરિસ્થિતી થાળે પાડી દીધી હતી. જો કે પ્રવાસીને પોલીસ હવાલે કરવાના બદલે એરપોર્ટ પરની સીઆઇએસએફએ માફીપત્ર લખાવી સંતોષ માની લીધો હતો.

અમદાવાદ એરપોર્ટ પર ગત મંગળવારે સવારે સ્પાઇસજેટની ફલાઇટ વહેલી સવારે ૪ઃ૩૦ વાગે લેન્ડીંગ થવાની હતી, આ ફલાઇટ મસ્તકતથી રવાના થઇ હતી. જેમાં ખાલીદ હુસૈન નામના પ્રવાસી સવાર હતો. ફલાઇટ ટેકઓફ થયાના થોડા સમય બાદ સવાર પ્રવાસીઓએ અચાનક ખિસ્સામાંથી સિગારેટ કાઢી લાઇટરથી રીતસરની સળગાવી હતી. જાણે આ પ્રવાસીને કોઇનો ડર ન હોય તેમ બિન્ધાસ્ત આ હરકતથી બાજુમાં બેઠેલા પ્રવાસીએ તાત્કાલીક ક્રુ મેમ્બરને જાણ કરી હતી. આ દરમિયાન ફલાઇટમાં સિગારેટના ધુમાડાથી સ્મોક ડિટેક્ટર મશીન કોકપીટમાં પાયલોટને એલર્ટ રહેવા એલારામ શરૃ થઇ જાય છે. ફલાઇટમાં આ પ્રકારની ગંભીર સ્થિતી સર્જાતા ફલાઇટમાં સવાર અન્ય પ્રવાસીઓમાં કચવાટ પણ શરૃ થઇ ગયો હતો.

ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડીંગ કરે તે પહેલા ક્રુ મેમ્બરે પ્રવાસી પાસેથી સિગારેટ અને લાઇટર લઇ લીધુ હતું. ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર સવારે ૪ઃ૩૦ વાગે ફલાઇટ લેન્ડીંગ થઇ ત્યારે ક્રુ મેમ્બરે તાત્કાલીક   સીઆઇએસએફને જાણ કરી હતી. આખી ઘટનાનું વર્ણન કર્યા બાદ પ્રવાસીએ કહ્યુ કે મારાથી ભુલ થઇ ગઇ છે. દરમિયાનમાં તેને માફીપત્ર લખી જવા દીધો હતો.

એરલાઇનના વિશ્વસનીય સુત્રો જણાવે છે કે ચાલુ ફલાઇટમાં બહારથી કોઇ ઓક્સિઝન મળતો નથી. આવા સંજોગોમાં ચાલુ ફલાઇટમાં સિગારેટ ફુંકવામાં આવે તો તેના ધુમાડાથી પ્રવાસીઓને શ્વાસ રૃંધાઇ શકે છે જેમાં તમામ પ્રવાસીઓને ઓક્સિઝન લેવાની જરૃર પડે છે. જો કે આ ઘટનામાં પ્રવાસીઓ બચી ગયા હતા. જો કે આ પ્રવાસી સિક્યોરિટી બોર્ડિંગ ચેકીંગ કરાવીને સિગારેટ અને લાઇટર લઇને કેવીરીતે ફલાઇટમાં પ્રવેશ કર્યો તેને લઇ અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. આ ઘટનાથી એરપોર્ટ પર તૈનાત સિક્યોરિટીના પણ ગંભીર છીંડા બહાર આવ્યા છે.

ફલાઇટમાં આવી વિચિત્ર ઘટના પ્રથમ વખત બની
સ્પાઇસજેટની ફલાઇટમાં ઓનબોર્ડ પ્રવાસીએ ખુલ્લેઆમ સિગારેટ ફૂંકી હોવાનો વિચિત્ર કિસ્સો પ્રથમ વખત બન્યો હોવાનું બહાર આવ્યુ છે. આ કિસ્સાથી સરક્ષા એજન્સીઓ માટે પણ ગંભીર રીતે ચિંતાનો વિષય બની ગયો છે.