26
July

સાબરમતી જેલમાંથી ભર બપોરે ૨૦ ફૂટ ઉચી દિવાલ કૂદી કેદી ફરાર

Written by 
Published in Ahmedabad

સોમવાર
સુરંગકાંડ પછી અભેદ્ય કિલ્લેબંધી ધરાવતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં સીસીટીવી કેમેરા, જામર સહિત અત્યાધુનિક સિસ્ટમથી કેદીઓ પર દેખરેખ કરીને લોખંડી સુરક્ષાના દાવા કરાયા હતાં પરંતુ રવિવારે ભરબપોરે સાબરમતી જેલની ૨૦ ફૂટ ઉચી દિવાલ કૂદીને કેદી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાને જેલની લોખંડી સુરક્ષાના લીરેલીરા ઉડાવી દીધા હતા. એટલુ જ નહી જેલની દિવાલ પર ૭૦૦૦ કેવી વીજ કરંટ ફેન્સીંગ કરાયુ હતુ તેમ છતાંયે હત્યાના ગુનાનો આરોપી બિન્દાસપણે ભાગી છૂટયો જેથી જેલતંત્રની કામગીરી સામે શંકાની આંગળી ચિંધાઇ છે.
સરદારનગરમાં હત્યા કેસનો આરોપી પ્રવિણ ઉર્ફે ભોલો ધવલ નામના આરોપીને ક્રાઇમબ્રાંચે ગત તારીખ ૧૧ જૂને ધરપકડ કરી હતી તની પૂછપરછની પ્રક્રિયા બાદ ૧૬ જૂન સેન્ટ્રલ જેલમાં ખસેડયો હતો. સાબરમતી જેલમાં પ્રવિણ આસન બેરેક નંબર ૩ માં સજા ભોગવી રહ્યો હતો. ગઇકાલે બપોરે ૧ કલાકે પ્રવિણે જેલમાં સન્નાટો હોવાનો લાભ ઉઠાવીને ૨૦ ફૂટ ઉંચી દિવાલ કૂદીને નાસી છૂટયો હતો.
આ બનાવ અંગે સેન્ટ્રલ જેલના ડેપ્યુટી જેલર જે.જી.ચાવડાએ રાણીપ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી કે રવિવારે તેઓ ફરજ પર હાજર હતા દરમિયાન નવી જેલામં સાંજે ૪ વાગે જેલ હવાલદાર ધીરુભાઇ નવી જલમાંથી ફોન કરીને જાણ કરી હતી કે એક કાચા કામનો કેદી બંધી સમયે ગણતરીમા મળતો નથી. જેથી જેલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ બાદ ખબર પડી કે સરદારનગરનો હત્યાનો આરોપી પ્રવિણ ઉર્ફે ભોલોે ધવલ લાપત્તા હોવાની ખબર પડી હતી.જેથી જેલ તંત્ર દ્વારા પ્રવિણની સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે તે દિવાલ કૂદીને નાસી છૂટયો હતો. બીજીતરફ જેલની બહાર દિવાલથી ૨૦થી ૨૫ દૂર વોચ ટાવર ગોઠવેલા હતા આ ટાવર પરથી જેલની અંદરની ગતિવિધી નરી આંખે દેખી શકાતી હોય છે. આ ૬ નંબરના વોચ ટાવર પર રાઉન્ડ ક્લોક એસઆરપી જવાન ફરજ બજાવતા હોય છે. ગઇકાલે આ વોચ ટાવર પર પો.કો. જયરાજસિંહ કુંપાવત ફરજ પર હતા પરંત ઘટના બની ત્યારે તેઓ ટાવર સૂઇ રહ્યા હોવાનું સીસીટીવી ફૂટેજમાંથી બહાર આવ્યું હતું. આ ઘટનાનને લઇને જેલ તંત્ર દ્વારા એસઆરપી જવાનની ફરજમાં બેદરકારી બદલ તેમની સામે પગલાં ભરવા એસઆરપી અધિકારીઓને પત્ર લખીને જાણ કરાઇ હોવાનું જેલ અધિકારી સુનિલ જોશીએ જણાવ્યુ હતું.

જેલમાંથી ૬૨ મોબાઇલ, પેન ડ્રાઇવ મળ્યા હતા
અમદાવાદ, સોમવાર
જેલમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ૬૨થી વધુ મોબાઇલ-ચાર્જર અને પેઇન ડ્રાઇવ સહિતની ચીજવસ્તુૂઓ મળી આવી હતી. જેથી જેલતંત્ર સામે અગાઉથી શંકાના ઘેરામાં આવેલી છે બે દિવસ પહેલા જેલ કેમ્પસમાંથી સોલા પીએસઆઇની ગુમ થયેલી રિવોલ્વર મળી હતી.


કેદીએ ફરિયાદીને ખતમ કરવાની ધમકી આપી હતી
અમદાવાદ, સોમવાર
જેલમાંથી નાસી છૂટનારા કેદી પ્રવિણ ધવલે ગત તારીખ ૬ જૂનના રોજ સરદારનગર વિસ્તારમાં મોચીવાડામાં રહેતા કચ્છ વાગડના પ્રતાપભાઇ સોલંકીની હત્યા કરી હતી હત્યા બાદ પ્રવિણ પકડાયો ત્યારે મૃતકના ભાઇ મોહનભાઇ સોલકીને હત્યા કરવાની ધમકી આપી હતી. આજે પ્રવિણ જેલ કૂદીને નાસી છૂટતા પોલીસે હત્યા કેસના ફરિયાદીના ઘરે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.


જેલમાં ૫૫૦ સીસીટીવી,જેલ ફરતે ૧૦ વોચ ટાવર શોભાના ગાંઠિયા
અમદાવાદ, સોમવાર
ગુજરાતની સૌથી મોટી અને સલામત ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં સુરંગકાંડ બાદ સરકાર દ્વારા લોખંડી સુરક્ષાના દાવા કરવામાં આવ્યા હતા જેના ભાગરૃપ કરોડોના ખર્ચે ૫૫૦થી વધુ સીસીટીવી કેમેરા, જામર અને જેલની ફરતે ૧૦થી વધુ વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા હતા તેમ છતાં કેદી જેલ સત્તાધિશોને ગાલ પર તમાચો મારીને બિન્દાસ્ત ભાગી ગયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા આ તમામ ઉપકરણો શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા હતા આશ્ચર્યની વાત તો એ છે કે બપોરે નાસી છૂટેલા કેદીની સાંજે હાજરી પૂરી ત્યારે ખબર પડી હતી બાકી તો સીસીટીવી ફૂટેજ ક્યારે ચેક થતા હશે તે તપાસનો વિષય છે.


રવિવારની રજામાં જેલમાં લાલિયા વાડીનો કેદીએ લાભ ઉઠાવ્યો
અમદાવાદ, સોમવાર
આમ તો  નિયમીત રીતે બપોરે ૧૨થી ૩ કેદીઓને બેરેકમાં રાખવામાં આવે છે જ્યારે રવિવારે રજા હોવાથી સાંજે ચાર વાગ્યા બાદ કેદીઓ બેરેકમાં લઇ જવાતા હોય છે. ગઇકાલે રજા હોવાથી જેલના અધિકારીઓ ્સહિત સ્ટાફ રજાના મુડમાં હતો તો કેદીઓ પણ બેરેકમાં ટીવી જોવા મશગૂલ હતા જેનો લાભ ઉઠાવીને પ્રવિણ નામનો કેદી દિવાલ કૂદીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો

જેલ અધિકારીઓનો વીજકરંટ ચાલુ હોવાનો દાવો
દિવાલની ફેન્સિંગમાં વીજકરંટ ચાલુ કે બંધ તે અંગે પ્રશ્નાર્થ
દિવાલના ફેન્સિંગ પર ૧૫ કિલો વજન પડે તો તાર તૂટી જાય ફેન્સિનની ડિઝાઇન જ એવી છે કે, કેદી ભાગી શકે જ નહીં

અમદાવાદ, સોમવાર
સાબમરતી જેલમાંથી કેદી દિવાલ કૂદીને ભાગ્યો હોવાનુૂ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. દિવાલ પરની ફેન્સીંગમાં વીજ કરંટ ચાલુ હોવાનો જેલ સત્તાવાળાઓ દાવો કરે છે. બીજીતરફ ફેન્સીગની ડિઝાઇન જ એવી છે ક કેદી ભાગી શકે જ નહી જેથી દિવાલની ફેન્સીગમાં વીજ કરંટ ચાલુ હતો કે બંધ કે અંગે ગંભીર પ્રશ્નાર્થ સર્જાયો છે.
સાબરમતી જેલમાંથી દિવાલ કુદીને કેદીઓ ભાગી ન જાય તે માટે ૭૦૦૦ કેવી વીજકરંટ સાથે ફેન્સીંગ કરાયું છે. આરોપી પ્રવિણ ધવલ દિવાલ કુદીને ભાગ્યો હોવાનું જેલતંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જેલ સુપ્રિટેન્ડન્ટ સુનિલ જોશીના જણાવ્યા મુજબ જેલની દિવાલના ફેન્સીંગ પર ૧૫ કિલો વજન પડે તો તાર તૂટી જાય તેમ છે બીજીતરફ ફન્સીગની ડિઝાઇન મુજબ પાંચ ફૂટ ઉંચી એંગલ પર લગાડેલા તાર વચ્ચે ચાર ઇંચ જ જગ્યા છે જેથી ફેન્સીગની ડિઝાઇન જ એવી છે કે કેદી ભાગી શકે જ નહી. પણ જો વીજ કરંટ ચાલુ હોય તો સકેદી ભાગ્યો કેવી રીતે એ સવાલ ઉભો થયો છે. બીજી તરફ, ૭૦૦૦ વોલ્ટનો વીજકરંટ ચાલુ હોય તો કેદી દિવાલ કુદવાની હિંમત જ કરે નહીં તેમ ખુદ જેલ અધિકારીઓ જ કહી રહ્યાં છે. આ સંજોગોમાં દિવાલ પર વીજકરંટ બંધ હોવાની વાતે પણ જેલતંત્રને કઠેડામાં ઉભુ કરી દીધુ છે. ખુદ જેલ અધિકારીઓને પણ પ્રવિણ દિવાલ કૂદીને ભાગી જાય તે વાત ગળે ઉતરતી નથી.

Read 322 times Last modified on Tuesday, 26 July 2016 10:09
Rate this item
(0 votes)
Smith Trivedi

Smit Trivedi

Website: news.sai-advertisers.in/

Leave a comment

Make sure you enter all the required information, indicated by an asterisk (*). HTML code is not allowed.